Jan 24, 2011

કંઇક ગડબડ જરુર છે !!!

મિત્રો,

મારું લખેલું કોઇ વાંચશે કે નહી તેની પરવાહ કર્યા વગર લખવાનુ ચાલુ કર્યું છે. જો કોઇ વાચક ને કયાંય ભુલ જણાય તો તુરંત જણાવશો અને કોઇ જગ્યાએ અતાર્કિક કે અયોગ્ય લાગે તો પણ કહેશો.

થોડા સમય પહેલા સતપંથ-પીરાણા પંથ વિશે મને થોડું સામાન્ય જ્ઞાન હતું. સામાન્ય જ્ઞાને તેમાં રહેલી વિચિત્રતાને જાણવા વધુ અભ્યાસ કરવા પ્રેર્યો અને વધુ અભ્યાસ કરતાં વધુ ને વધુ જાણતા ઘણું જ અચરજ થયું કે હિંદુ ધર્મમાં આ બધુ કયાથી આવી ગયું !!! જે લોકો પોતાને હિંદુ કહે છે તેઓ આજે જાણે અર્ધ-મુસ્લીમ બની જ ચુકયા છે. કેટલાક લોકોને રુબરુ મળીને વધુ જાણકારી મેળવી અને જે યોગ્ય ન લાગ્યું તે અંગે સમજાવવાનો પ્રયત્ન કરી જોયો. પણ વ્યર્થ. અહી કોઇ સાંભળો તો ને.. કદાચ કોઇ સાંભળવા નથી માંગતું અથવા કોઇ આ મુદ્દાને ચર્ચવા નથી ઇચ્છતું. આપણો દેશ વિવિધતામાં એકતા સમાન છે અને બિનસાંપ્રદાયિકતા આપણાં દેશનુ ઘરેણું છે.

હવે, આ બિનસાંપ્રદાયિકતાના હેઠળ ધર્મપરિવર્તન કરાવવું અને તે પણ લોભ-લાલચ કે મુર્ખ બનાવીને તે કદાપી યોગ્ય ન કહી શકાય. કોઇ માણસને તેની મુળ માન્યતા માથી બહાર કાઢીને કોઇ નવી માન્યતામા જડતાથી ગોઠવી દેવા અને તેમાં પણ તેની આસ્થા કે માન્યતા સાથે ચેડા કરવાં તે શું યોગ્ય કહેવાય ? એક જ ધર્મમાં જો કોઇ સંપ્રદાય બદલે તો મુળ માન્યતાઓમાં ખાસ પરિવર્તન ન આવે, પણ સંપ્રદાયના નામે ધીમે-ધીમે ગુપ્ત રીતે ધર્મ પરિવર્તન કરાવવું યોગ્ય કહેવાય ? ધર્મ બદલાતા મુળ વ્યવસ્થા અને માન્યતાઓ બદલાય છે પણ જે માણસ આસ્થાથી જોડાયો હોય તેને તે દેખાતું નથી પરિણામે તે તેનો શિકાર બને છે. સમય જતાં જે તે પંથ સાથે જોડાયેલો શ્રધ્ધાળુ પોતાની માન્યતાને સાચી ઠેરવવા અને પોતાના પંથની સંખ્યા વધારવા અન્યોને પણ આકર્ષિત કરે, પરિણામે સંપ્રદાય મોટો થતો જાય. આ આખો સંપ્રદાય માત્ર કેટલાક ધર્માંધ લોકોના ઇશારે ચાલે છે જે તેની વાસ્તવિકતા સુપેરે જાણે છે છતાં તેમના જ અનુયાયીઓ સાથે દ્રોહ કરે છે.

જે કોઇને કહ્યું કે હું આ મુદ્દો અન્યો સામે પણ લઇ જઇશ તથા બહારની દુનીયાને પણ વિચિત્રતાની જાણ કરીશ. તો ધર્માંધ લોકો એ મને રોકયો કે જે ચાલે છે તેમ ચાલવા દો ને.. પણ મે મારુ કામ ચાલુ કરી દીધુ. ધીરે-ધીરે મારો વિરોધ કરતા લોકોને મારા તરફથી કોઇ સંકટ જણાતા મને રોકવા અને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા છે તે હું સમજવા લાગ્યો હતો. હું હવે વધુ જાણવા લગ્યો છું અને મને અટકાવવા માટે વિરોધીઓ ધમકી પર ઉતરી આવ્યા છે તેથી જ આ રીતે ગુમનામ બનીને આપની સમક્ષ બધી દબાયેલી હકિકતોને વાચા આપવા આવ્યો છું.

મન માં ઘણાં સવાલો ઉદભવ્યા છે. સતપંથના શાસ્ત્રો સાથે મેળવતા મારા સવાલોનો કોઇ ચોક્કસ જવાબ કહેવો મુશ્કેલ છે. અહીં કોઇ પીર કે તેની માન્યતા કે ધર્મ કે સંપ્રદાયને નીચો દેખાડવાનો મારો કોઇ જ આશય નથી. આ લખનાર દરેક ધર્મ-સંપ્રદાયને  સમાન માન અને આદરની દ્રષ્ટિએ મુલવતા જાણે છે. તેથી આપને વિનંતિ કે યોગ્ય સુઝબુઝથી કામ લેશો.

વધુ નવી પોસ્ટમાં જણાવીશ.

આભાર.


એક વ્યક્તિ

No comments:

Post a Comment